ગુજરાતમાં ખાનગી શાળાઓ માટે મોટો નિર્ણય: ભરતીથી સસ્પેન્શન સુધી નવા નિયમો, નિયમ તોડશો તો ₹10 લાખ સુધીનો દંડ

Chintan Suthar
By Chintan Suthar 4 Min Read

ગુજરાત વિધાનસભામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક-2026 બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. આ નવા સુધારા બાદ સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે ભરતી, લાયકાત, સર્વિસ કન્ડિશન અને શિસ્ત સહિતની અનેક બાબતોમાં સરકાર અને બોર્ડના નિયમો વધુ અસરકારક બનશે.

ખાસ કરીને શિક્ષક અને બિનશૈક્ષણિક સ્ટાફની ભરતીમાં રાજ્ય સરકારની અનામત નીતિ લાગુ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત હેડમાસ્ટર, શિક્ષક, સ્પેશિયલ એજ્યુકેટર તથા બિનશૈક્ષણિક કર્મચારીઓની લાયકાત અને ભરતી પ્રક્રિયા પણ સરકારના નિયમો અનુસાર નક્કી કરવામાં આવશે.

ભરતીના નિયમો તોડશો તો ₹10 લાખ સુધીનો દંડ

નવા સુધારા હેઠળ ભરતી સંબંધિત નિયમોના ભંગ બદલ દંડની જોગવાઈમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. સેક્શન 41 હેઠળનો દંડ ₹1,000થી વધારીને ₹10 લાખ સુધી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપરાંત કેટલીક જોગવાઈઓના ભંગ બદલ 1થી 2 વર્ષની જેલ અને ₹10 લાખથી ₹15 લાખ સુધીના દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે.

શાળા બંધ કરવી હોય તો 6 મહિના અગાઉ નોટિસ આપવી પડશે

શાળા બંધ કરવા અંગે પણ નવા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. શાળા બંધ કરતા પહેલાં બોર્ડને 6 મહિના અગાઉ લેખિત નોટિસ આપવી ફરજિયાત રહેશે.

નિયમનું પાલન નહીં કરવામાં આવે તો ₹20 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

કર્મચારીના સસ્પેન્શન અંગે 45 દિવસમાં નિર્ણય

વિધેયકમાં આચાર્ય, શિક્ષકો અને અન્ય સ્ટાફની લાયકાત, સર્વિસ કન્ડિશન તથા શિસ્ત સંબંધિત બાબતોમાં બોર્ડના નિયમન માટે જોગવાઈ કરવામાં આવી છે.

કોઈ કર્મચારી સામે તપાસ અથવા સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવે ત્યારે બોર્ડના અધિકારીની મંજૂરી સંબંધિત જોગવાઈ પણ કરવામાં આવી છે. સસ્પેન્શન અંગેનો નિર્ણય 45 દિવસની અંદર લેવો ફરજિયાત રહેશે.

17 હજાર સ્વનિર્ભર શાળાઓના સંચાલકોમાં વિરોધ

બીજી તરફ, રાજ્યની આશરે 17,000 સ્વનિર્ભર ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા સરકારી અને અધિકારીક દખલગીરી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

શાળા સંચાલકોનું કહેવું છે કે સ્વનિર્ભર શાળાઓ કોઈપણ પ્રકારની સરકારી ગ્રાન્ટ કે સહાય વિના પોતાના ભંડોળથી ચાલે છે. આવી સ્થિતિમાં શાળાઓના આંતરિક સંચાલનમાં બિનજરૂરી નિયંત્રણો લાદવા યોગ્ય નથી.

સંચાલકોનો આક્ષેપ છે કે DEO સહિતના અધિકારીઓ દ્વારા વારંવાર ડેટા અને વિવિધ માહિતી માંગવામાં આવતી હોવાથી શૈક્ષણિક કામગીરી પર પણ અસર થાય છે.

કાળા પટ્ટી ધારણ કરી વિરોધની ચીમકી

મહામંડળના સંચાલકો દ્વારા આગામી સમયમાં કાળી પટ્ટી ધારણ કરીને સકારાત્મક વિરોધ નોંધાવવાની વાત કરવામાં આવી છે. જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનાત્મક પગલાં ભરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

મહામંડળના મહામંત્રી મનહરભાઈ રાઠોડના જણાવ્યા મુજબ, ખાસ કરીને દંડની જોગવાઈઓ અને શાળાના વહીવટમાં વધતી જતી દખલગીરી સામે સંચાલકોમાં નારાજગી છે.

હવે ખાનગી શાળાઓમાં શું બદલાશે?

  • અનુદાનિત ખાનગી શાળાઓની ભરતી પ્રક્રિયા વધુ નિયમબદ્ધ બનશે
  • શિક્ષક અને બિનશૈક્ષણિક સ્ટાફની ભરતીમાં સરકારની અનામત નીતિ લાગુ થશે
  • હેડમાસ્ટર, શિક્ષક અને સ્ટાફની લાયકાત સરકારના નિયમો મુજબ નક્કી થશે
  • કર્મચારીના સસ્પેન્શન અંગે 45 દિવસમાં નિર્ણય લેવો પડશે
  • ભરતીના નિયમોના ભંગ બદલ ₹10 લાખ સુધીનો દંડ થઈ શકે છે
  • કેટલીક જોગવાઈના ભંગ બદલ જેલ અને ₹10થી ₹15 લાખ સુધીનો દંડ થઈ શકે છે
  • શાળા બંધ કરવા માટે 6 મહિના અગાઉ નોટિસ આપવી પડશે
  • નિયમના ભંગ બદલ શાળાને ₹20 લાખ સુધીનો દંડ થઈ શકે છે

આ સુધારા બાદ ગુજરાતની અનુદાનિત ખાનગી શાળાઓની ભરતી અને વહીવટી પ્રક્રિયામાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. હવે શાળા સંચાલકો અને સરકાર વચ્ચેનો આ મુદ્દો આગામી સમયમાં વધુ ગરમાવાની શક્યતા છે.

Share This Article