અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં ફરી એકવાર AMTS બસ સાથે જોડાયેલ બેદરકારીનો બનાવ સામે આવ્યો છે. સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જતા માર્ગ પર બનેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં બળદગાડું ચલાવી રહેલા વૃદ્ધને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ગાડા સાથે જોડાયેલા બળદને પણ ઈજા પહોંચી હતી. આ અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓથી કંટાળેલા સ્થાનિકોએ કાયદો હાથમાં લીધો હતો અને AMTS બસમાં ભારે તોડફોડ કરી હતી. લોકોના રોષને જોતા બસ ચાલક ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો.