અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં વહીવટી પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવાના હેતુથી પોલીસ કમિશનર (Police Commissioner) જી.એસ. મલિક દ્વારા મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો અને એજન્સીઓમાં ફરજ બજાવતા 27 પોલીસ ઇન્સ્પેક્ટરો (PI) ની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.
વસ્ત્રાપુર, સરખેજ, નવરંગપુરા, SOG, ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમના પીઆઈની બદલી કરવામાં આવી હતી. અગાઉ પ્રમોશન અપાયેલા પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. લિવ રિઝર્વ આઠ પીઆઈની નિમણૂંક કરાઈ હતી. ઈન્ચાર્જથી ચાલતા પોલીસ સ્ટેશનને પીઆઈ મળ્યા હતા. EOWના પીઆઈ આર.જી.સિંધુની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હતી જ્યારે વસ્ત્રાપુરના પીઆઈ એલ.એલ. ચાવડાની સરખેજ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ હતી.
આ બદલીઓમાં સૌથી વધુ ચર્ચાસ્પદ કિસ્સો દાણીલીમડા (Danilimda) ના PI નો રહ્યો છે. તેમને પોલીસ સ્ટેશનની જવાબદારીમાંથી મુક્ત કરી સીધા કંટ્રોલ રૂમ (Control Room) માં મૂકી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં સામે આવેલા કેમિકલ ચોરીના કેસમાં વિવાદિત ભૂમિકા તેમને નડી ગઈ હોવાનું મનાય છે. લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા અને નાના-મોટા વિવાદોમાં સંડોવાયેલા અન્ય અધિકારીઓ પર પણ બદલીની ગાજ પડી છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી પીઆઈની બદલીઓ અટકી પડી હતી અને તેના કારણે ઘણાં પોલીસ સ્ટેશન ચાર્જમાં ચાલી રહ્યાં હતા. જે પોલીસ અધિકારીની સારી કામગીરી હતી તે અધિકારીને સારા પોલીસ સ્ટેશન આપવામાં આવ્યા છે, તો બીજી તરફ અમુક પીઆઈ લાંબા સમયથી જે પોલીસ સ્ટેશનમાં છે તેમને તે જગ્યાએ જ રાખવામાં આવ્યા છે. તો કંટ્રોલ રૂમ અને લીવ રીઝર્વમાં રહેલા 8 પીઆઈને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, આ વખતની જે બદલી છે તેમાં લીવ રીઝર્વમાં રહેલા પીઆઈને પોલીસ સ્ટેશનમાં નિમણૂંક કરાતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

