ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પોલીસ વિભાગમાં બદલીના આદેશ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગમાં બદલી અને પોસ્ટિંગના આદેશ થયા છે. અમદાવાદમાં કુલ 60 થી વધુ PIની બદલી અને પોસ્ટિંગ કરવામાં આવ્યા છે. જેમાં શહેરમાં જ ફરજ બજાવતા 13 અધિકારીઓની આંતરિક બદલી થઈ છે, જ્યારે બહારથી આવેલા 50થી વધુ PIને નવા પોસ્ટિંગ આપવામાં આવ્યા છે.
આ વખતની બદલી પ્રક્રિયામાં સૌથી મહત્વની બાબત એ રહી છે કે, કમિશનર ઓફિસે સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. અગાઉ જ્યારે પણ બદલીઓ થતી ત્યારે વચેટિયાઓ અને વગદાર રાજકીય નેતાઓની ભલામણોનો રાફડો ફાટતો હતો. જોકે, આ વખતે કમિશનર કચેરી દ્વારા કોઈ પણ ભલામણ કરનારને સ્પષ્ટ શબ્દોમાં સોરી કહી દેવામાં આવ્યું છે. કોઈ પણ વહીવટદારની ગોઠવણ આ વખતે ચાલી નથી.
જે અધિકારીઓ અગાઉ કોઈ વિવાદમાં આવ્યા હોય અથવા જેમની કામગીરી નબળી રહી હોય, તેમને મહત્વના પોલીસ સ્ટેશનોને બદલે કંટ્રોલ રૂમ કે ટ્રાફિક વિભાગ જેવા સાઇડ પોસ્ટિંગમાં મૂકવામાં આવ્યા છે. નારોલ, નરોડા, વટવા, બોડકદેવ અને નવરંગપુરા જેવા મહત્વના પોલીસ મથકો જે અત્યાર સુધી ઇન્ચાર્જ પીઆઈથી ચાલતા હતા, ત્યાં હવે કાયમી પોસ્ટિંગ આપી દેવામાં આવ્યું છે.


