અમદાવાદમાં આજે T20 વર્લ્ડકપનો સૌથી ચર્ચિત મુકાબલો રમાવાનો છે. સુપર-8 રાઉન્ડમાં ભારત અને દક્ષિણ આફ્રિકા દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે. બંને ટીમો વર્તમાન ટૂર્નામેન્ટમાં અજેય છે.
આમ તો ટુર્નામેન્ટની શરૂઆતથી જ ભારતને ટ્રૉફી માટે ફેવરિટ માનવામાં આવે છે, ગ્રૂપ લેવલની મૅચ દરમિયાન ભારતની એક નબળાઈ ઊડીને આંખે વળગી હતી અને દક્ષિણ આફ્રિકાની ટીમે તેની ઉપર ધ્યાન આપવાની વાત કરી છે.
બીજી બાજુ, ઓપનર અભિષેક શર્માનું ફૉર્મ પણ ટીમ મૅનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે. જોકે, કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મૅચ પહેલાં આના વિશે સ્પષ્ટતા કરી દીધી હતી.ટુર્નામેન્ટની તમામ ચાર મૅચ જીતીને ન કેવળ પોતાના ગ્રૂપમાં, પરંતુ તમામ ગ્રૂપના પૉઇન્ટ ટેબલમાં ભારત ટોચ ઉપર છે.
વર્તમાન વર્લ્ડ કપમાં બંને ટીમોનું પ્રદર્શન અત્યાર સુધી ખૂબ સારું રહ્યું છે. ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) બંને પોતાની છેલ્લી 4-4 મેચો જીતીને અજેય રથ પર સવાર છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ સેમીફાઈનલમાં પોતાની જગ્યા પાકી કરવા માટે આતુર છે, જ્યારે બીજી તરફ એડન માર્કરામની સેના 2024ના વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત સામે મળેલી હારનો બદલો લેવા મેદાને ઉતરશે.
જો ઇતિહાસ પર નજર કરીએ તો ભારતનો હાથ ઉપર રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 35 T20 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 21 મેચમાં જીત મેળવી છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 13 મેચ જીતવામાં સફળ રહ્યું છે. જોકે, આંકડા ગમે તે હોય, મેદાન પર જે ટીમ દબાણને સારી રીતે હેન્ડલ કરશે તે જ વિજેતા બનશે.