ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વધુ ઘેરો બન્યો છે અને તેના પરિપ્રેક્ષ્યમાં હવે એક મોટો વ્યૂહાત્મક નિર્ણય સામે આવ્યો છે.પહેલગામ આતંકી હુમલા પછી સિંધુ જળ સંધિ સ્થગિત કર્યાના નવ મહિના પછી ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો આપવાની તૈયારી કરી છે.
લાંબા સમયથી સ્થગિત રહેલી ઝેલમ નદી પરની વુલર બેરાજ યોજના ફરી શરૂ કરવાની તૈયારી શરૂ થઈ છે. આ પગલું માત્ર પાણી સંચાલન પૂરતું સીમિત નથી, પરંતુ તેની પાછળ વ્યૂહાત્મક, આર્થિક અને રાજકીય સંદેશો પણ જોડાયેલા છે. કેન્દ્ર સરકારે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે સિંધુ જળ સંધિ શાંતિકાળ માટે હતી, પરંતુ પાકિસ્તાન શાંતિ સ્થાપિત કરવા માગતું નથી તો આ સંધિ પણ નહીં રહે. હવે ભારતે પાકિસ્તાનને વધુ એક મોટો ફટકો આપવાની તૈયારીના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરમાં ઝેલમ નદી પર ચાર દાયકાથી અટવાયેલો વુલર બેરેજ પ્રોજેક્ટ ફરી શરૂ કરવાની તૈયારી કરી છે.
આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ઝેલમ નદીના જળપ્રવાહનું નિયંત્રણ અને સંગ્રહ છે. અગાઉ આ યોજના સંધિના કારણે ઠંડા બસ્તામાં મૂકી દેવામાં આવી હતી, કારણ કે પાણી વહેંચણીના નિયમો અનુસાર પાકિસ્તાન તરફ પાણીના પ્રવાહ પર કોઈ અસર ન થાય તે જરૂરી હતું. પરંતુ હવે સંધિ નિલંબિત થતાં આ મર્યાદાઓ દૂર થઈ છે.