ભારતીય બેન્કિંગ સિસ્ટમમાં ટૂંક સમયમાં એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવે ગ્રાહકોને બેન્ક બદલવા માટે પોતાનો અકાઉન્ટ નંબર બદલવાની જરૂર પડશે નહીં.
RBI દ્વારા એક નવી અને અત્યાધુનિક વ્યવસ્થા પર કામ શરૂ કરવામાં આવ્યું છે. આ નવી સિસ્ટમ અમલમાં આવશે તો ખાતાધારકોને મોબાઈલ નંબર પોર્ટેબિલિટી જેવી જ સુવિધા મળશે, એટલે કે તેઓ પોતાનો એકાઉન્ટ નંબર બદલ્યા વગર સરળતાથી એક બેંકમાંથી બીજી બેંકમાં જઈ શકશે. આ પહેલ બેન્કિંગ ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફાર સાબિત થઈ શકે છે.
મળતી માહિતી મુજબ, બેંક ખાતાધારકો પોતાની ઈચ્છા મુજબ એકાઉન્ટ નંબર બદલ્યા વગર સરળતાથી બેંક બદલી શકે અને બેંક બદલતા જ આપોઆપ બધુ ટ્રાન્સફર થઈ શકે તે અત્યાધુનિક સિસ્ટમ પર RBIએ કામગીરી શરૂ કરી દીધી છે. ‘પેમેન્ટ્સ વિઝન 2028’ હેઠળ ગ્રાહકોને પોતાની મરજી મુજબ બેંક પસંદ કરવાની આઝાદી મળી શકે તે હેતુથી આરબીઆઈએ નવી વ્યવસ્થા પર વિચારણા શરૂ કરી દીધી છે. આનાથી બેંકોમાં સ્પર્ધા પણ વધશે અને તેના કારણે ગ્રાહકોને સારી સેવા પણ મળશે.

