અમદાવાદ: વેજલપુરમાં મકાનમાં લાગી આગ, પિતા-પુત્રનું ગાઢ નિદ્રામાં જ મોત

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

અમદાવાદમાં ફરી એકવાર આગની ઘટનાએ માસૂમ જિંદગી છીનવી લીધી છે. વેજલપુર વિસ્તારમાં આવેલા કૃષ્ણ નગરી રો-હાઉસમાં આજે વહેલી સવારે લાગેલી આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. વેજલપુર વિસ્તારમાં બકેરી સિટી નજીક આવેલા કૃષ્ણનગર રો-હાઉસના એક મકાનમાં મધરાતે ભીષણ આગ ફાટી નીકળતા ઘરમાં હાજર પાંચ લોકોમાંથી પિતા-પુત્રના મોત નિપજ્યા છે. જ્યારે ત્રણ લોકો બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો છે. ગોહિલ પરિવારના સભ્યો રાત્રીની ગાઢ નિંદ્રામાં હતા તે દરમિયાન જ આ આગ લાગી હતી.

મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તુરંત ફાયરબ્રિગેડને જાણ કરી હતી.  ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ગંભીર હતી કે અંદર ફસાયેલા બે લોકોને બચાવી શકાયા નહોતા. ફાયરબ્રિગેડની ટીમે આગને વધુ ફેલાતી અટકાવી હતી, જેના કારણે મોટી હોનારત ટળી હતી.આ દુર્ઘટનામાં કમનસીબે બે લોકોના મોત નીપજ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે.

મૃતકના નામ : ધ્રુવ ગોહિલ, 39 વર્ષ (પિતા) શાશ્વત ધ્રુવ ગોહિલ, 9 વર્ષ (પુત્ર)

ઈજાગ્રસ્ત: મિત્તલ ગોહિલ, 35 વર્ષ (માતા )

Share This Article