વિવાદિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલે ફરી એક નવો વિવાદ સર્જ્યો છે.જૂનાગઢમાં યોજાયેલા મિની મહાકુંભ દરમિયાન મૃગી કુંડ ખાતે બનેલી ઘટના માત્ર એક સામાન્ય વિવાદ નથી, પરંતુ ધાર્મિક પરંપરાઓ અને વ્યવસ્થાપન પર સીધો સવાલ ઊભો કરતી ઘટના છે. વર્ષો જૂની માન્યતા મુજબ મૃગી કુંડમાં માત્ર અખાડાના સાધુ-સંતોને જ સ્નાન કરવાની મંજૂરી હોય છે. આવી પવિત્ર પરંપરાની વચ્ચે કીર્તિ પટેલે ભગવા વસ્ત્રો પહેરી સાધુનો વેશ ધારણ કરીને કુંડ સુધી પહોંચી જવું અનેક પ્રશ્નો ઉભા કરે છે.
આ અંગે મળતી વિગત અનુસાર, મહાશિવરાત્રિના મેળાના અંતિમ દિવસે કીર્તિ પટેલ જૂનાગઢના ભવનાથમાં પહોંચી હતી. રવેડી પૂર્ણ થયા બાદ મૃગીકુંડમાં સાધુ-સંતોનું શાહી સ્નાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન ભગવા કપડા પહેરી કીર્તિ પટેલ સાધુઓની વચ્ચે પહોંચી ગઈ હતી. આટલેથી ન ટકતા કીર્તિ પટેલે કુંડમાં ડૂબકી પણ લગાવી હતી. ખાડાના સાધુ-સંતોએ આ ઘટનાને પરંપરાનો ભંગ ગણાવી કડક શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો છે. કેટલાક સંતોએ સ્પષ્ટ કર્યું કે આવી હરકતો ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે અને આવું ફરી ન બને તે માટે કડક કાર્યવાહી જરૂરી છે.
