ભારતીય રિઝર્વ બેંક (RBI)એ નેપાળી રૂપિયો અને ભારતીય રૂપિયાના પ્રચલન સંબંધિત જૂના નિયમોમાં સંશોધન કર્યું છે. હવે નેપાળમાં ભારતીય રૂપિયાની રૂ. 200 અને રૂ. 500ના મૂલ્યની નોટો પણ લઈ જવા અને ઉપયોગ કરવાની મંજૂરી મળી ગઈ છે. અગાઉ નેપાળમાં મોટા મૂલ્યની ભારતીય નોટો પર પ્રતિબંધ હતો, જેનાથી મુસાફરો અને વેપારીઓને ઘણી મુશ્કેલી પડતી હતી.
મહત્વનું છે કે, ભારતીય રિઝર્વ બેંકે વિદેશી વિનિમય વ્યવસ્થાપન નિયમો (foreign exchange management regulations)માં સુધારો કરતાં નિર્ણય લીધો છે કે ભારતથી નેપાળ કે ભૂટાન જતા પ્રવાસીઓ હવે 25,000 રૂપિયા સુધીની ભારતીય ચલણ (જેમાં 200 અને 500ની નોટો પણ સામેલ છે) પોતાની સાથે લઈ જઈ શકશે. આ સાથે જ નેપાળ કે ભૂટાનથી ભારત પરત ફરતી વખતે પણ આટલી જ ભારતીય નોટ લાવી શકાશે. આ પગલું બંને દેશો વચ્ચેના આર્થિક અને સામાજિક સંપર્કોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.