એક સંકલ્પ અને 5 દીકરીઓના ઘરમાં ખુશીઓનો માહોલ, સેવા અને ભક્તિ વચ્ચે 5 દીકરીઓના લગ્ન

Chintan Suthar
By Chintan Suthar 3 Min Read
Oplus_16908288

સમાજમાં સેવા કરવા માટે કોઈ હોદ્દો કે પદની જરૂર પડતી નથી. સાચી લાગણી અને નિસ્વાર્થ ભાવના હોય તો સામાન્ય માણસ પણ સમાજમાં અનોખું ઉદાહરણ ઉભું કરી શકે છે. આવું જ એક પ્રેરણાદાયી ઉદાહરણ ગાંધીનગરમાં જોવા મળ્યું છે, જ્યાં સેક્ટર–24માં રહેતા અને મહાકાળી માતાજીના પરમ સેવક તરીકે ઓળખાતા દીપકભાઈ વ્યાસ, જેને લોકો પ્રેમથી ભુવાજી તરીકે ઓળખે છે, તેઓ ભક્તિ સાથે માનવસેવાનું અનોખું કાર્ય કરી રહ્યા છે.

દીપકભાઈ વ્યાસ પોતાનું ગુજરાન ચલાવવા માટે ફોટોગ્રાફીનું કામ કરે છે. પોતાના રોજગાર સાથે સાથે તેઓ માતાજીની સેવા અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ સક્રિય રીતે જોડાયેલા છે. સામાન્ય જીવન જીવતા હોવા છતાં સમાજ માટે કંઈક સારું કરવાની તેમની ભાવના તેમને અન્ય લોકોથી અલગ ઓળખ આપે છે.

આજના સમયમાં ભુવાઓને લઈને લોકોના મનમાં ઘણી વખત વિવિધ પ્રકારના વિચારો ઉભા થતા હોય છે, કારણ કે ઘણા કિસ્સાઓમાં અંધશ્રદ્ધા અને ખોટા દાવાઓ પણ સામે આવ્યા છે. પરંતુ આવા સમયમાં દીપકભાઈ વ્યાસ જેવા સેવાભાવી વ્યક્તિઓ સમાજમાં એક અલગ ઓળખ ઉભી કરી રહ્યા છે. તેઓ માત્ર માતાજીની સેવા જ નથી કરતા, પરંતુ લોકોના દુઃખ દૂર કરવા અને સમાજ માટે કંઈક સારા કામ કરવા સતત પ્રયત્નશીલ રહે છે.

દીપકભાઈ વ્યાસે થોડા સમય પહેલા ગાયોની સેવા માટે તબેલો બનાવી ગૌસેવાનું કાર્ય શરૂ કર્યું હતું. ગાયોની સંભાળ અને સેવા દ્વારા તેઓ ધાર્મિક ભાવનાને માનવતાની સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે તેમણે વધુ એક સરાહનીય અને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.10 માર્ચના રોજ ગાંધીનગરના વાવોલ પાર્ટી પ્લોટ ખાતે દીપકભાઈ વ્યાસની પ્રેરણા અને અનેક દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ પાંચ દીકરીઓના શાહી રીતે લગ્ન કરાવવામાં આવ્યા. દીકરીના લગ્ન જેવી જવાબદારી અનેક ગરીબ પરિવારો માટે મોટી ચિંતા બની રહેતી હોય છે, ત્યારે આવા સમયમાં આગળ આવી દીકરીઓના લગ્ન કરાવવું ખરેખર એક માનવતાભર્યું કાર્ય ગણાય છે.

આ સમગ્ર લગ્ન પ્રસંગમાં કોઈ પણ પ્રકારની કસર ન રહી જાય તેનું દીપકભાઈ વ્યાસે ખડેપગે રહીને ખાસ ધ્યાન રાખ્યું હતું. લગ્નની દરેક વ્યવસ્થા સારી રીતે થાય અને દીકરીઓના પરિવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે તેઓ સતત વ્યવસ્થામાં વ્યસ્ત રહ્યા હતા..આ પ્રસંગે સમાજના અનેક દાતાઓ અને આગેવાનો પણ જોડાયા હતા અને સૌના સહયોગથી આ પવિત્ર કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું. દીપકભાઈ વ્યાસનું માનવું છે કે સાચી ભક્તિ માત્ર મંદિરમાં પૂજા કરવાથી પૂરતી નથી થતી, પરંતુ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી એ જ સાચી સેવા છે.

સમાજમાં માનવતા અને સહકારની ભાવનાને જીવંત રાખવાના આવા પ્રયાસો ખરેખર પ્રેરણારૂપ છે. દીપકભાઈ વ્યાસ જેવા લોકો બતાવે છે કે સાચી ભક્તિ અને સેવા સાથે મળીને સમાજમાં સકારાત્મક બદલાવ લાવી શકાય છે.

Share This Article