શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે હોળી-ધુળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સહિત દેશભરમાં હોળી-ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં ‘દિવ્ય રંગોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં દેશ-વિદેશથી દોઢ લાખથી વધુ ભક્તો જોડાયા અને ભક્તિના રંગે રંગાયા હતા.
આ વર્ષે ઉત્સવની વિશેષતા એ હતી કે ભક્તોની ત્વચાને નુકસાન ન થાય તે માટે છોટાઉદેપુરથી ખાસ ઓર્ડર આપીને 51 હજાર કિલો ઓર્ગેનિક રંગો તૈયાર કરાયા હતા. ગુલાબી, લાલ, પીળો અને નારંગી જેવા સાત પ્રકારના રંગો અને 1000 કિલો તાજા ફૂલોની વર્ષાથી સમગ્ર મંદિર પરિસર રંગીન બની ગયું હતું. હનુમાનજી દાદાને પણ પંચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. રંગોત્સવની શરૂઆત હનુમાનજીની આરતી અને હનુમાન ચાલીસા કરીને કરવામાં આવી હતી.
