પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. શનિવારે રાત્રે, પાકિસ્તાન વાયુસેનાએ અફઘાનિસ્તાનની અંદર સરહદ પાર અનેક આતંકવાદી ઠેકાણાઓ પર મોટાપાયે હુમલા કર્યા. પાકિસ્તાનને આ હુમલાઓને ગુપ્ત માહિતીના આધારે ટાર્ગેટ કાર્યવાહી ગણાવી હતી, જ્યારે અફઘાન તાલિબાન સરકારનો દાવો છે કે આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 19થી વધુ નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા.
રમઝાન મહિનામાં કરાયેલા હુમલાઓને કારણે પાકિસ્તાન સામે તાલિબાન અધિકારીઓ ગુસ્સે થયા છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાનને આ હુમલાઓનો સમયસર, યોગ્ય અને વિચારપૂર્વક જવાબ આપવાની ધમકી ઉચ્ચારી છે.
પાકિસ્તાનમાં અફઘાન રાજદૂત અબ્દુલ સલામ ઝૈફે કહ્યું કે “પાકિસ્તાની લશ્કરી શાસન” દ્વારા નંગરહાર અને પક્તિકા પર કરવામાં આવેલા હુમલાઓ, અફઘાન દેશના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે અને અન્યાયી અને કાયરતાપૂર્ણ કૃત્ય છે.સંરક્ષણ મંત્રાલયે આ હુમલાઓને અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય સાર્વભૌમત્વ, આંતરરાષ્ટ્રીય કાયદાઓ, પડોશીપણાના સિદ્ધાંતો અને ઇસ્લામિક મૂલ્યોનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું છે.