રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 18 વર્ષે આઈપીએલ ચેમ્પિયન બનતાં ચોમેર ઉત્સાહ ફેલાયો હતો. વિજય ઉજવણી દરમિયાન બેંગલુરુ નાસભાગ દુર્ઘટના સર્જાતાં RCB ની જીત માથે કલંક લાગ્યું છે. આ કરુણાંતિકામાં ઓછામાં ઓછા 11 લોકોના મોત નીપજ્યાં છે. આ ઘટનામાં 47 જેટલા લોકો ઘાયલ થયા છે. ત્યારે કર્ણાટક પોલીસે ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB), DNA ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની અને કર્ણાટક ક્રિકેટ એસોસિએશન વિરુદ્ધ ભાગદોડ કેસમાં FIR નોંધી છે. વિક્ટ્રી પરેડ દરમિયાન તેમના પર ગુનાહિત બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો છે.
FIRમાં જણાવાયું છે કે ભાગદોડની ઘટના જવાબદાર એજન્સીઓની અરાજકતા અને બેદરકારીને કારણે થઈ હતી. બીજી તરફ, આ મામલાની સુનાવણી હાઇકોર્ટમાં થઈ હતી. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ વી કામેશ્વર રાવ અને ન્યાયાધીશ સીએમ જોશી બેન્ચે રાજ્ય સરકારને અકસ્માત અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. હવે આગામી સુનાવણી 10 જૂને થશે.
સામાજિક કાર્યકર્તા સ્નેહમયી કૃષ્ણાએ કબ્બન પાર્ક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને કર્ણાટક રાજ્ય ક્રિકેટ બોર્ડના પદાધિકારીઓ વિરૂદ્ધ પર બેદરકારી બદલ દંડ સંહિતાની કલમ 106 હેઠળ કેસ કરવાની ફરિયાદ કરાઈ છે. આ સિવાય આમ આદમી પાર્ટી-કર્ણાટકના રાજ્ય યુવા પ્રમુખ લોહિત હનુમાનપુરાએ બેંગલુરુમાં નાસભાગની ઘટનાના સંદર્ભમાં કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન અને એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમના સીઈઓ વિરુદ્ધ FIR દાખલ કરવાની વિનંતી કરતી પોલીસ ફરિયાદ નોંધાવી છે.