પાકિસ્તાની મિડિયા મુજબ છેલ્લા ઘણા દિવસોથી લોકો છ નહેરો બનાવવાની અને કોર્પોરેટ ખેતી યોજનાનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓને રાષ્ટ્રીય હાઇવે પર ધરણાં કરવાનો પ્રયાસ અટકાવ્યો હતો, જેને કારણે પ્રદર્શનકારીઓ ભડકી ગયા હતા. તેમણે કેટલીક ટ્રકોને લૂંટી હતી અને ત્રણ વાહનોમાં આગ લગાવી દીધી, જેમાં એક તેલનું ટેન્કર પણ સામેલ હતું.
સિંધમાં હિંસક વિરોધ અને આગચંપી
મળતી માહિતી મુજબ, પાકિસ્તાનમાં પાણીનું સંકટ સતત વધી રહ્યું છે. સિંધમાં વિવાદાસ્પદ ચોલિસ્તાન નહેર પ્રોજેક્ટ સામે ફાટી નીકળેલા હિંસક વિરોધે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. નૌશહરો ફિરોઝમાં મોરો દાદ અને બાયપાસ ખાતે વિવાદાસ્પદ નહેર પ્રોજેક્ટ્સ સામે ધરણા દરમિયાન હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા.
અહેવાલો અનુસાર, ગુસ્સે ભરાયેલા વિરોધીઓએ સિંધના ગૃહમંત્રી ઝિયા-ઉલ-હસન લંજરના નિવાસસ્થાનને આગ લગાવી દીધી, જેના કારણે વ્યાપક નુકસાન થયું. આ ઘટનામાં પોલીસ સાથેની અથડામણમાં બે વિરોધીઓના મોત થયા છે, અને એક ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (DSP) સહિત એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા.
આ બધાની વચ્ચે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો-ઝરદારીનું ભારત વિરુદ્ધનું ભડકાઉ નિવેદન આ ઘટનાઓનું એક મુખ્ય કારણ બન્યું છે. પાકિસ્તાન સતત એક પછી એક સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. અનેક બલૂચ સંગઠનો દેશભરમાં અનેક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. આ ઘટનાઓમાં પાકિસ્તાની સૈનિકો સાથે-સાથે સામાન્ય જનતાની પણ હત્યા થઈ રહી છે. માર્ચ મહિનામાં દેશમાં આતંકવાદી હુમલાઓમાં વધારો થયો છે. નવેમ્બર 2014 પછી પહેલીવાર આતંકવાદી હુમલાઓની સંખ્યા 100ને પાર પહોંચી છે.