અમદાવાદ શહેરના પાલડી નજીક આવેલા ફતેહનગર ગામમાંથી એક અદભુત અને શ્રદ્ધાભર્યું દ્રશ્ય સામે આવ્યું છે, જેણે ભક્તોમાં અનોખી લાગણી જગાવી છે…
ચૈત્ર સુદ પૂનમ અને શ્રી હનુમાન જયંતિના પાવન પ્રસંગે ફતેહનગર સ્થિત શ્રી રામજી મંદિરમાં ભક્તિનો માહોલ છવાયો હતો. મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં એકત્રિત થઈ શ્રી હનુમાન ચાલીસાના પાઠમાં લીન થયા હતા.
આ દરમિયાન સાકેતવાસી જગદ્ ગુરુ શ્રી રામાનંદાચાર્ય સ્વામી શ્રી રામાચાર્યજીના શિષ્ય શ્રી શિવાકાંત મહારાજ પોતાના સુમધુર કંઠે ભજન ગાઈ રહ્યા હતા, અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ત્યારે જ અચાનક એક એવી ઘટના બની કે જે સૌને આશ્ચર્યમાં મૂકી દેતી હતી…
ભગવાન શ્રી રામજીની મૂર્તિ પાસે અચાનક જ એક કપિરાજ, એટલે કે વાનર, આવી પહોંચ્યો. તે શાંતિથી મૂર્તિ નજીક બેસી રહ્યો અને જાણે ભક્તિમાં લીન થઈ ગયો હોય એવું દ્રશ્ય સર્જાયું.
મંદિરમાં હાજર ભક્તો માટે આ ક્ષણ અત્યંત વિશેષ બની ગઈ. કોઈએ આને હનુમાનજીની કૃપા ગણાવી, તો કોઈએ આને એક અદભુત સંયોગ તરીકે જોયું. પરંતુ તે ક્ષણે દરેકના હૃદયમાં માત્ર શ્રદ્ધા અને ભાવના જ છવાઈ ગઈ હતી.
આ અનોખી ઘટના હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે અને લોકો પોતાની-પોતાની રીતે આ ઘટનાને લઈ પ્રતિસાદ આપી રહ્યા છે.

