મોડાસાના લીંભોઈ ગામના હરિયાળા બગીચામાં સુપરહિટ ગુજરાતી ફિલ્મ ધુળકી તારી માયા લાગીના બીજા ભાગનું ખાતમુહૂર્ત ગામજનોની હાજરીમાં ભવ્ય રીતે યોજાયું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામજનો, યુવાનો અને ફિલ્મ ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.
ફિલ્મના લેખક તરીકે જાણીતા સર્જક કેશવ રાઠોડ ફરી એક વખત કલમ સંભાળી રહ્યા છે. નિર્માતા મગનમામા અને સહ નિર્માતા બાબુસિંહ રાઠોડ (લીંભોઈ)ના માર્ગદર્શન હેઠળ ફિલ્મનું નિર્માણ હાથ ધરાયું છે. સુપરહિટ હીરો ચંદન રાઠોડ ફરી મુખ્ય ભૂમિકામાં નજરે પડશે.
ખાતમુહૂર્ત પ્રસંગે સામાજિક આગેવાન નિલેશ જોષી, હિતેન્દ્ર જોષી અને મુન્નારાજ દ્વારા ક્લેપ આપવામાં આવી હતી. ગામના સરપંચશ્રી, શાળાના પ્રમુખ ગિરીશ ઉપાધ્યાય, અર્ચનાબેન તેમજ દિલીપ જોષી સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લેખક કેશવ રાઠોડએ જણાવ્યું હતું કે ફિલ્મ એક સુંદર લવ સ્ટોરી છે, જે અગાઉ દર્શકોના દિલ જીતી ચૂકી છે. હવે પાર્ટ–2માં પ્રેમ સાથે સમાજ અને પરિવાર પ્રત્યેની વફાદારી તથા જવાબદારીનો સંદેશ આપવામાં આવશે. ફિલ્મના હીરો ચંદન રાઠોડએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ફિલ્મના ગીતો આજના યુવાનોને ખાસ પસંદ પડશે.
લીંભોઈ ગામમાં યોજાયેલ આ ભવ્ય ખાતમુહૂર્તથી સમગ્ર વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે અને ફિલ્મપ્રેમીઓમાં હવે પાર્ટ–2 અંગે ભારે આતુરતા જોવા મળી રહી છે.
