ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને મૂળ ગુજરાતી દિલીપ દોશીનું સોમવારે રાત્રે લંડન ખાતે નિધન થયું હતું. 77 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા દાયકાઓથી લંડનમાં રહેતા હતા. દિલીપ દોશીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું.
1947માં રાજકોટ ખાતે જન્મેલા દિલીપ દોશીએ 32 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને માત્ર ચાર વર્ષની કારકિર્દીમાં, દિલીપ દોશીએ 100 થી વધુ વિકેટો લીધી હતી. એ અરસામાં કપિલદેવ સાથે મળીને તેમણે ભારતને કેટલીક ટેસ્ટમાં વિજય પણ અપાવ્યો હતો. તેઓ રણજી ટ્રોફીમાં બંગાળ માટે 62 મેચ રમ્યા હતા અને ત્યાર બાદ વતન પરત ફરીને સૌરાષ્ટ્ર માટે રણજી ટ્રોફીમાં રમ્યા હતા.
જોકે તેમણે મોટા ભાગના ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઇંગ્લેન્ડમાં રમ્યા હતા238 ફર્સ્ટ કલાસ મેચમાં દિલીપ દોશીએ 898 વિકેટ ઝડપી હતી. જેમાં 43 વાર તેમણે ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ ખેરવી હતી. 1981માં ભારતે મેલબોર્ન ખાતે ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો તેમાં દોશીએ પાંચ વિકેટ ઝડપી હતી.