12 જૂને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડનના ગેટવિક એરપોર્ટ જવા માટે ઉડાન ભરનાર એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેક ઓફના થોડી જ મિનિટોમાં ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનના બંને પાયલોટ, 10 ક્રૂ મેમ્બર્સ, મુસાફરો સહિત કુલ 270 લોકોના મોત થયા હતા. ત્યારે અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
આ મામલે કાર્યવાહી કરતા DGCAએ એરલાઇન્સના ત્રણ અધિકારીને હટાવવાનો નિર્ણય લીધો છે. ક્રૂના ટાઈમ ટેબલમાં પણ અનિયમિતતાના આરોપો લાગ્યા છે. ગંભીર અનિયમિતતાને કારણે DGCAએ એર ઇન્ડિયાના ત્રણ સિનિયર અધિકારીને તાત્કાલિક અસરથી ક્રૂ શિડ્યુલિંગ અને રોસ્ટરિંગ સંબંધિત તમામ જવાબદારીઓમાંથી હટાવવાનો નિર્દેશ આપ્યો છે. વારંવાર ગંભીર ભૂલો અને નિયમોના ઉલ્લંઘન બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી એવિએશન સેફ્ટી પ્રોટોકોલના ગંભીર ભંગ બદલ કરાઈ છે. વધુમાં ૧૦ દિવસમાં આ કાર્યવાહી અંગે રિપોર્ટ આપવા જણાવાયું છે.