ભારતીય રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનોમાં ભીડને નિયંત્રિત કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રેલ્વે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે કોઈપણ ટ્રેનમાં વેઇટિંગ ટિકિટની સંખ્યા ટ્રેનની કુલ ક્ષમતાના 25 ટકા સુધી મર્યાદિત રહેશે. આ નવા નિયમનો ઉદ્દેશ્ય મુસાફરોને વધુ સારો મુસાફરી અનુભવ પ્રદાન કરવાનો અને ઓવરબુકિંગની સમસ્યા ઘટાડવાનો છે. આ યોજના બિકાનેર વિભાગમાં સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં દેશના અન્ય ભાગોમાં પણ લાગુ કરવામાં આવશે. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલવે વેઇટલિસ્ટ ચાર્ટ હવે ચાર કલાકને બદલે 24 કલાક અગાઉ તૈયાર કરવામાં આવશે. રેલવેનો દાવો છે કે આ યોજના રેલવે ટિકિટિંગમાં ઘણી પારદર્શિતા લાવશે. આ યોજના 6 જૂનથી બિકાનેર ડિવિઝનમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર, હવે રેલવે દરેક ટ્રેનના એસી ફર્સ્ટ ક્લાસ, એસી સેકન્ડ, એસી થર્ડ, સ્લીપર અને ચેર કારમાં કુલ બર્થ/સીટના મહત્તમ 25 ટકા માટે વેઈટિંગ ટિકિટ જારી કરશે. આ ફેરફાર દિવ્યાંગજન, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે અનામત બેઠકો જેવા વિવિધ ક્વોટાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. જો કોઈ ટ્રેનમાં 1,000 સીટો ઉપલબ્ધ હોય, તો મહત્તમ 250 વેઇટલિસ્ટ ટિકિટ જારી કરવામાં આવશે. જેથી મુસાફરોની ટિકિટ કન્ફર્મ થવાની શક્યતાઓ તો વધશે જ, પરંતુ ટ્રેનમાં બિનજરૂરી ભીડ પણ ઓછી થશે.