ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના ભક્તો અને અરવલ્લી જિલ્લાના રહેવાસીઓ માટે રેલવે વિભાગ દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અસારવાથી ઉદયપુર વચ્ચે શરૂ થયેલી વંદે ભારત ટ્રેનને હવે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે સ્ટોપેજ મળશે. આ ટ્રેનનું અત્યાર સુધી હિંમતનગર પછી ગુજરાતમાં ક્યાંય સ્ટોપેજ નહોતું. સ્થાનિકો અને શામળાજીના ભક્તો દ્વારા લાંબા સમયથી આ સ્ટોપેજની માંગ કરવામાં આવી રહી હતી.
મળતી માહિતી મુજબ આ સુવિધા પાછળ સાબરકાંઠા-અરવલ્લી વિસ્તારના સાંસદ શોભનાબેન બારૈયાના પ્રયાસો મુખ્ય રહ્યા છે. તેમણે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને લેખિતમાં રજૂઆત કરી હતી કે યાત્રાધામ શામળાજીનું ધાર્મિક મહત્ત્વ જોતા અહીં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ હોવું અનિવાર્ય છે. સાંસદની આ રજૂઆતને કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવી છે, જેનાથી સમગ્ર જિલ્લામાં પરિવહનની નવી અને મોટી સુવિધા ઊભી થઈ છે. અત્યાર સુધી અમદાવાદથી રાજસ્થાન તરફ જતા મુસાફરો માટે આ રૂટ પર મર્યાદિત વિકલ્પો હતા, પરંતુ હવે શામળાજી સ્ટેશન પર સ્ટોપેજ મળતા સ્થાનિક વેપાર અને પ્રવાસનને પણ વેગ મળશે.
