ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફિનિશર રિંકુ સિંહ માટે એક અત્યંત માઠા સમાચાર સામે આવ્યા છે. એકબાજુ રિંકુ ટી-20 વર્લ્ડ કપમાં દેશ માટે મેદાન પર પરસેવો પાડી રહ્યો છે, ત્યારે બીજી બાજુ તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ નિધન થયું છે.
ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું શુક્રવારે સવારે લગભગ 4.36 વાગ્યે નિધન થયું છે. તેઓ 60 વર્ષના હતા. તેમને ચોથા સ્ટેજનું લિવર કેન્સર હતું. થોડા દિવસ પહેલા તેમની તબિયત વધુ બગડી હતી, ત્યારબાદ તેમને અલીગઢથી ગ્રેટર નોઇડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. પિતાના નિધનના સમાચાર મળ્યા બાદ રિંકુ સિંહ ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો સાથ છોડીને ઘરે પરત ફર્યા હતા અને પિતાના અંતિમ દર્શન કરી તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા.