T20 વર્લ્ડ કપ 2026 માં ટીમ ઈન્ડિયા માટે આ સમાચાર સારા નથી. સ્ટાર ઓપનર અભિષેક શર્માને પેટના ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં દાખલ થયા પછી, શર્મા નામિબિયા સામે રમવાની શક્યતા ઓછી છે. ભારત 12 ફેબ્રુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નામિબિયા સામે T20 વર્લ્ડ કપ 2026ની પોતાની બીજી મેચ રમશે. ત્યારે 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામેના મહામુકાબલા પહેલા આ ઘટનાએ ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધારી દીધું છે.
અહેવાલો મુજબ, 7 ફેબ્રુઆરીએ યુએસએ સામેની પહેલી મેચ દરમિયાન અભિષેક શર્માની તબિયત ખરાબ હોવાના અહેવાલો ફરતા થયા હતા.અભિષેક શર્માને પેટમાં ગંભીર ચેપ (ઇન્ફેક્શન) લાગ્યું છે અને તેને તીવ્ર તાવ પણ છે. રવિવારે મુખ્ય કોચ ગૌતમ ગંભીરના ઘરે આયોજિત ટીમ ડિનર દરમિયાન પણ તેની તબિયત નાદુરસ્ત જણાતી હતી અને તે વહેલા નીકળી ગયા હતા. સોમવારથી તે હોસ્પિટલમાં છે અને મંગળવારે પણ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો નહોતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ સિરાજે પણ અગાઉ સંકેત આપ્યો હતો કે અભિષેકની તબિયત થોડા સમયથી ઠીક નથી.