અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન થઇ ચુક્યું છે. રસ્તાઓ પર ભગવાનના દર્શન કરવા માટે થઇને ભક્તો વહેલી સવારથી ગોઠવાઇ ગયા છે. અને ભગવાનનો મગ જાંબુનો પ્રસાદ પણ ગ્રહણ કરી રહ્યા છે. મંદિરમાં અને ભગવાન જ્યાં રૂટ પર નગરચર્યાએ નીકળવાના છે, ત્યાં પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
https://x.com/ANI/status/1938409855565631886
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.દર વર્ષે ભગવાન જગન્નાથજીનો પ્રથમ રથ સવારે 7.10 વાગ્યે બહાર નીકળતો હોય છે, પરંતુ ચાલુ વર્ષે 6.56 વાગ્યે ભગવાનનો પ્રથમ રથ મંદિરની બહાર લાવવામાં આવ્યો હતો.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગને સાફ કરી પહિંદ વિધિ સંપન્ન કરી, જે બાદ તેઓએ અમદાવાદના જગન્નાથ મંદિરથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુદ ભક્તો સાથે મળીને રથ ખેંચ્યો અને આ પાવન અવસરમાં સહભાગી થયા.
આ પહેલા વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર ભગવાન જગન્નાથજીની મંગળા આરતી કરી પૂજા અર્ચના કરી હતી.