આજે 21 જૂને વિશ્વભરમાં ‘યોગ ફોર વન અર્થ વન હેલ્થ’ થીમ સાથે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ ઉજવણી સાથે ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત’ થીમ પણ જોડવામાં આવી છે. આજે વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ કર્યા હતા.
આખા વર્ષ દરમિયાન 40 લાખ વૃક્ષો શહેરમાં ઉગાડવામાં આવશે. આ ઉપરાંત રાજ્યકક્ષાનો યોગ દિવસ વડનગર ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. જ્યારે તેમની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને યોગ કર્યા હતા. આ વખતની ઉજવણીમાં સમગ્ર રાજ્યમાંથી આશરે 1.5 કરોડથી વધુ લોકો યોગમાં સહભાગી થવા માટે 60 હજારથી વધુ સ્થળોએ એકત્ર થયા હતા. રાજ્યના 45 હજાર પ્રાથમિક શાળા, 12,500 માધ્યમિક શાળા, 2 હજારથી વધુ કોલેજો અને 3 યુનિવર્સિટીઓમાં યોગ સત્રનું આયોજન કરાયું હતું, જેમાં 5.73 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો.