તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 500 રૂપિયાની નોટ ચલણમાંથી હટાવવાનો નિર્ણય કર્યો છે. વાયરલ પોસ્ટમાં તે પણ કહેવામાં આવ્યું કે આવનારા સમયમાં 90 ટકા એટીએમમાંથી માત્ર 100 અને 200 રૂપિયાની નોટ નીકળશે. વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ₹૫૦૦ ની ચલણી નોટને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
RBI ના વાસ્તવિક નિર્દેશ શું કહે છે?
આરબીઆઈ 500 રૂપિયાની નોટ પરની નિર્ભરતા ઓછી કરવાની દિશામાં આગળ વધી રહી છે. ડિજિટલ લેવડદેવડમાં તેજી, ઈ-રૂપી જેવી ડિજિટલ કરન્સીની તૈયારી અને કરન્સી પ્રિન્ટિંગ પર થનારા ખર્ચને ધ્યાનમાં લેતાં આરબીઆઈ 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટનું ચલણ વધારવાના પ્રયાસો કરી રહી છે.આરબીઆઈએ દેશની તમામ બેંકોને આદેશ આપ્યા છે કે તેઓ સપ્ટેમ્બર, 2025 સુધી પોતાના 75 ટકા એટીએમમાં 100 રૂપિયા અને 200 રૂપિયાની નોટનું ચલણ વધારે. આ આદેશને નિષ્ણાતો એ વાત સાથે જોડી રહ્યા છે કે આરબીઆઈ 500 રૂપિયાની નોટ ધીરે ધીરે ચલણમાંથી બહાર કાઢશે. અત્રે ઉલ્લેખની છે કે આ પહેલાં આરબીઆઈએ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર કરી હતી.
