તાજેતરના દિવસોમાં અનેક રાજ્યોમાંથી યાત્રાળુઓ દેવભૂમિ ઉત્તરાખંડ યાત્રા માટે પહોંચતા હોય છે. આ દિવસો દરમિયાન યાત્રાળુઓની ખાસ્સી ભીડ રહેતી હોય છે. ત્યારે ઉત્તરાખંડના ઋષિકેશમાં ઉજ્જૈની એક્સપ્રેસના ત્રણ કોચ પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે. યોગનગરી રેલવે સ્ટેશનની વોશિંગ લાઇનમાં શન્ટિંગ દરમિયાન ટ્રેન અનિયંત્રિત બની બફર સ્ટોપ સાથે અથડાઈ હતી.
આ દુર્ઘટના એ સમયે સર્જાય હતી કે જ્યારે ટ્રેન યાર્ડ ક્ષેત્રથી પસાર થઈ રહી હતી. જો કે રાહતની વાત તો એ છે કે આ સમયે ટ્રેનમાં કોઈ જ મુસાફર ન હોવાથી એ મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.આ અંગે ઘટનાની જાણ થતાંની સાથે જ રેલવે તંત્ર, આરપીએફ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આજે વહેલી સવારથી જ પાટાનું સમારકામ અને ડબ્બાઓને ફરીથી પાટા પર લાવવાની કામગીરી આદરી દેવામાં આવી છે. દુર્ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને અન્ય ટ્રેનને પણ રોકવામાં આવી હોવાની વિગતો પણ સૂત્રોએ આપી હતી.

