ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ખાસ કરીને અમદાવાદના સાબરમતી વોર્ડમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સાબરમતી વોર્ડમાં OBC બેઠક પરથી ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે.
ઠાકોર સમાજના આગેવાનોનું કહેવું છે કે આ વોર્ડમાં તેમના 18 હજારથી વધુ મતો હોવા છતાં, છેલ્લા 5 વર્ષથી સમાજના કોઈ ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી નથી. ત્યારે ઠાકોર સમાજમાં હાલ આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઠાકોર સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ, તેમની એક જ માંગ છે કે ભાજપ સરકાર આ વખતે ઠાકોર સમાજ સાથે અન્યાય ન કરે અને તેમના સમાજના ઉમેદવારને પણ તક આપવામાં આવે. ત્યારે સાબરમતી વોર્ડમાં ભાજપ ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ આપશે કે નહીં તે જોવું રહ્યું.
