એક તરફ મિડલ ઈસ્ટમાં તણાવ વધી રહ્યો છે. ત્યારે ભારત તેની દરિયાઈ શક્તિ વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.ત્યારે સ્વદેશી રીતે નિર્મિત એડવાન્સ્ડ સ્ટીલ્થ ફ્રિગેટ INS તારાગિરી (F41) આજે વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળમાં સામેલ થયું. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આ સમારોહમાં હાજર રહ્યા હતા.
‘આત્મનિર્ભર ભારત’ની દિશામાં એક મોટું પગલું
‘INS તારાગિરી’ એક સ્વદેશી યુદ્ધ જહાજ છે, જેને પ્રોજેક્ટ 17A હેઠળ બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું આ ચોથું ફ્રિગેટ છે અને મઝગાંવ ડોક શિપબિલ્ડિંગ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલું ત્રીજું જહાજ છે. આ યુદ્ધ જહાજ 28 નવેમ્બરના રોજ સત્તાવાર રીતે નૌકાદળને સોંપવામાં આવ્યું હતું. તેમાં 75% થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ‘આત્મનિર્ભર ભારત’ની દિશામાં એક મોટું પગલું છે.
https://x.com/ANI/status/2039971710502600731?s=20
સમારોહમાં હાજર દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, તેમણે કહ્યું કે જ્યારે પણ કોઈ સંકટ આવે છે, પછી ભલે તે રેસ્ક્યૂ ઓપરેશન હોય કે માનવતાવાદી સહાય પૂરી પાડવાની હોય, આપણી નેવી હંમેશા આગળ હોય છે. INS તારાગિરીનું કમિશનિંગ આપણી નેવીની તાકાતમાં વધુ વધારો કરશે.
મહત્વનું છે કે, INS તારાગિરીને અત્યાધુનિક ટેકનોલોજી અને ઘાતક હથિયારોથી સજ્જ કરવામાં આવ્યું છે. તેમાં બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ, MF-STAR રડાર અને MRSAM એર ડિફેન્સ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત, તેમાં 30mm અને 12.7mm ક્લોઝ-ઈન વેપન સિસ્ટમ પણ હાજર છે. સબમરીન વિરોધી (ASW) ઓપરેશન માટે તેમાં રોકેટ અને ટોર્પિડો પણ લગાવવામાં આવ્યા છે, જેનાથી તેની મારક ક્ષમતામાં અનેકગણો વધારો થાય છે.
