અમે ઈરાનના 46 નૌસેના જહાજોને સમુદ્રમાં જ ડૂબાડી દીધા : ડોનાલ્ડ ટ્રમ્પ

Chintan Suthar
By Chintan Suthar 1 Min Read

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાનની નેવીને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીનો સૌથી મોટો દાવો કરતા જણાવ્યું છે કે, અમેરિકાના ભીષણ હુમલાઓમાં ઈરાનની સૈન્ય શક્તિને કમરતોડ નુકસાન પહોંચ્યું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાનના 46 નૌસેના જહાજોને સમુદ્રમાં ડૂબાડી દેવામાં આવ્યા છે અને તેમની ડ્રોન તથા મિસાઈલ ક્ષમતા લગભગ નષ્ટ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન વિરુદ્ધ શરૂ કરાયેલા સૈન્ય અભિયાનને 10 દિવસ વીતી ગયા હોવા છતાં યુદ્ધના મેદાનમાં શાંતિના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ઈઝરાયેલ અત્યાધુનિક સંરક્ષણ પ્રણાલી અને અમેરિકાના મજબૂત સૈન્ય સમર્થન સાથે ઈરાન પર દબાણ વધારી રહ્યું છે, પરંતુ ઈરાન હજુ પણ નમતું જોખવા તૈયાર નથી, જેના કારણે આ સંઘર્ષ હવે 11મા દિવસમાં વધુ વકર્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધ જલ્દી સમાપ્ત કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતામાં અમેરિકાની આકરી ધમકીઓ અને સૈન્ય જમાવટે સ્થિતિને વધુ બેકાબૂ બનાવી દીધી છે. આ ત્રણેય રાષ્ટ્રો વચ્ચેનો ગતિરોધ હવે માત્ર મધ્ય પૂર્વ પૂરતો સીમિત ન રહેતા વૈશ્વિક અસ્થિરતાનું કારણ બની રહ્યો છે.

Share This Article