રાજપાલ યાદવ વર્ષો જૂના ચેક બાઉન્સ કેસમાં હાલમાં દિલ્હીની તિહાડ જેલમાં છે. તેણે ₹9 કરોડ ચૂકવવાના છે. રાજપાલ યાદવે દિલ્હી હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેમાં આજે, સોમવારે સુનાવણી યોજાઈ હતી અને કોર્ટે તેમને જામીન આપ્યા હતા, જેનાથી અભિનેતાને મોટી રાહત મળી હતી. દિલ્હી હાઈકોર્ટે તેમને તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવાની પરવાનગી આપી છે. અભિનેતા રાજપાલ યાદવને 18 માર્ચ સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.
દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવના વકીલને વચગાળાના જામીન માટે આરોપીના નામે 1.5 કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવવા માટે બપોરે 3 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જો તમે આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરાવો છો, તો અમે તમને મુક્ત કરીશું, જો તમે તેમ કરવામાં અસમર્થ છો, તો અમે કાલે સવારે કેસની સુનાવણી કરીશું. રાજપાલ યાદવના વકીલે હાઈકોર્ટને માહિતી આપી કે તેમણે 1.5 કરોડ રૂપિયાનો ડીડી જમા કરાવ્યો છે. આ પછી, અભિનેતાને શાહજહાંપુરમાં તેની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાની મુક્તિ મળી ગઈ. જોકે, અભિનેતાને પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે કેસની આગામી સુનાવણી 18 માર્ચે થશે.