અમદાવાદમાં 12 જૂનનો દિવસ ઈતિહાસમાં કાળા અક્ષરોએ ચિતરાઈ ગયો. આ એ જ દિવસ હતો જ્યારે લંડન જવાના અભરખા લઈને ઉપડેલા અનેક મુસાફરોની જિંદગી પળભરમાં કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ. અનેક આશાસ્પદ ભાવિ તબીબોની જિંદગી હણાઈ ગઈ. અમદાવાદ આ દિવસ ક્યારેય ભૂલી શકશે નહીં. હવે આ પ્લેન ક્રેશની ઘટના વિશે એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે.
આ ખુલાસા મુજબ આ દુર્ઘટના કોઈ ગડબડને કારણે નહીં, પરંતુ એક જાણીજોઈને કરવામાં આવેલી હરકતને કારણે થઈ છે. ઈટાલીના અખબાર કોરિએરે ડેલા સેરા (Corriere della Sera) એ પોતાના અહેવાલમાં આ ચોંકાવનારો દાવો કર્યો છે. કોરીએર ડેલા સેરા (Corriere della Sera) એ નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચે થયેલી તાજેતરની વાતચીતથી પરિચિત બે સ્ત્રોતોને ટાંકીને અહેવાલ આપ્યો છે. જોકે, DGCAનો સત્તાવાર રિપોર્ટ જારી થાય એ પહેલા કોઈ પણ નિષ્કર્ષ કાઢવો ઉતાવળ ગણાશે.
રિપોર્ટ પ્રમાણે, ઇન્ડિયન ઇન્વેસ્ટીગેટર્સ એ તારણ પર પહોંચ્યા કે 12 જૂન 2025ના રોજ એન્જિનના ફ્યુલ કટ-ઓફ પછી થયેલ દુર્ઘટના કોઈ મિકેનિકલ ખરાબીને કારણે નહીં, પણ જાણીજોઈને કરવામાં આવેલી હરકતના કારણે થઈ હતી. અધિકારીઓ હવે તેમનો ફાઇનલ રિપોર્ટનો ડ્રાફ્ટ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. અખબારમાં આગળ જણાવ્યું કે તપાસમાં મદદ કરી રહેલા યુએસ નિષ્ણાતોએ આ તારણોને ‘એક મોટી સફળતા’ ગણાવી છે. જોકે અહીં સવાલ એ પણ છે કે પાલયટે જાણી જોઈને ફ્યુલ સ્વિચ કેમ બંધ કરી? તે પણ એક તપાસનો વિષય બની જાય છે.
જુલાઈ 2025માં ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા બહાર પાડવામાં આવેલા એક પ્રારંભિક અહેવાલમાં એક પાઇલટના ફ્યુલ કંટ્રોલ બંધ કરવા વિશે છેલ્લી કોકપીટ વાતચીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોકપીટ વૉઇસ રેકોર્ડિંગમાં, એક પાઇલટ એવું પૂછતો સાંભળવામાં આવ્યો, “તમે ફ્યુલ કેમ બંધ કર્યું?” બીજાએ જવાબ આપ્યો – “મેં આવું નથી કર્યું.”