વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન શુક્રવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બ્રિજ બનાવવા માટે બાંધવામાં આવેલું માળખું (સ્કેફોલ્ડિંગ) અચાનક તૂટી પડતાં 4 જેટલા શ્રમિકો તેની નીચે દટાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને શ્રમિકોને કાટમાળ નીચેથી બહાર કાઢ્યા હતા.
મહત્વનું છે કે, બે પિલર વચ્ચે ટેકો ખસી જતા ધડાકાભેર સમગ્ર સ્ટ્રકચર તૂટી ગયુ હતું. ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલું છે.નોંધનીય છે કે, આ બ્રિજ નિર્માણનું હજી કાર્ય પૂર્ણ થાય તે પહેલા જ દુર્ઘટના સર્જાતા કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.