અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાની ઘટના બાદ સિવિલ હોસ્પિટલ સહિત ગાંધીનગરમાં વીવીઆઈપીની અવરજવર વધી ગઈ છે. એક બાદ એક નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યા છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ પણ તેમના બંદોબસ્તમાં વ્યસ્ત બની છે. તેવામાં શહેરના શાહીબાગ વિસ્તારમાં તસ્કરોએ તેનો લાભ ઉઠાવી દુકાનોને ટાર્ગેટ કરી છે.
શાહીબાગ વિસ્તારમાં સુજાતા ફલેટની સામે આવેલા મલ્લીનાથ કોમ્પ્લેક્ષની 10 દુકાનના તાળાં તોડી તસ્કરો રોકડ, દાગીના તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળીને અંદાજે રૂ.20 લાખની મત્તા ચોરી ગયા હતા. એક જ રાતમાં જે 10 દુકાનોના તાળા તૂંટ્યા જેમાં એક જ્વેલરી શોપનો પણ સમાવેશ થાય છે. જ્વેલરી શોપમાંથી દાગીના અને રોકડ મળીને કુલ રૂ.16.14 લાખની મતાની ચોરી થઈ હતી. જવેલરી શોપના સીસીટીવીના કૂટેજ મેળવીને પોલીસે તપાસ શરુ કરી હતી.