હમણાં ઘણા સમયથી દરરોજ ખાખી પર સવાલો કરતી ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા, અમરેલી, અમદાવાદ સહિતના શહેરોમાં પોલીસકર્મીઓના કાંડ સામે આવી રહ્યા છે. ત્યારે ફરી એક વખત ખાખી પર ઘાડ લાગે તેવી ઘટના અમદાવાદથી સામે આવી છે. અમદાવાદના રાણીપમાં ગઈ મોડી રાત્રે એક ગંભીર અકસ્માતનો બનાવ બન્યો હતો. માધવપુરા પોલીસ સ્ટેશનના એક પોલીસકર્મીની કારે પાંચથી વધુ વાહનોને અડફેટે લીધા હતા.
પોલીસકર્મી યુવરાજસિંહ વાઘેલા નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે. અકસ્માતના આ બનાવમાં અકસ્માતમાં ત્રણ લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વાહનોને અડફેટે લઇ કાર એક દીવાલમાં ઘૂસાડી દીધી હતી. બનાવની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.