અમેરિકા અને ઈઝરાયલે કરેલા હુમલામાં સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થતાં આખી દુનિયામાં સ્તબ્ધતા છે. દુનિયાભરના શિયા મુસ્લિમોના સર્વોચ્ચ નેતા મનાતા 86 વર્ષના હતા પણ કડેધડે હતા ને અમેરિકા-ઈઝરાયલ સામેના જંગમાં ઈરાનનું નેતૃત્વ કરતા હતા. ખામેનેઈનો આ રીતે અકાળે અંત આવશે તેની કોઈને કલ્પના પણ નહોતી. પ્રાપ્ત વિગતો અનુસાર, તેહરાનમાં સ્થિત ખામેનેઈના મુખ્ય મથક પર માત્ર 30 સેકન્ડના ટૂંકા ગાળામાં એક પછી એક 30 ધડાકા કરવામાં આવ્યા હતા, જેના પરિણામે સમગ્ર ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી.આ હુમલો એટલી સચોટ વ્યૂહરચના સાથે કરવામાં આવ્યો હતો કે ખામેનેઈને જીવ બચાવવાની તક પણ મળી શકી નહોતી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા ખામેનેઈના મોતના અહેવાલોને સમર્થન આપતા આ ઘટનાની પુષ્ટિ કરી છે.
સરકારી મીડિયાએ પુષ્ટિ કરી છે કે ઇઝરાયેલ-અમેરિકાના હુમલામાં સુપ્રીમ લીડર અલી ખામેનેઈનો અંત થઈ ચૂક્યો છે, તેના મોત પર 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે અને ‘ઇતિહાસના સૌથી ક્રૂર’ પ્રતિશોધની વાતો પણ થઈ રહી છે.એક હકીકત એ પણ છે કે ઈરાનમાં ઘણા સામાન્ય ઈરાનીઓ ખામેનેઈના મોતની ઉજવણી કરતા દેખાયા છે, વિદેશોમાં રહેતા ઈરાની લોકો પણ ઉજવણી કરી રહ્યા છે. આ વિરોધાભાસનું કારણ ખામેનેઈ અને તેનું ક્રૂર-કટ્ટર ઇસ્લામી શાસન છે. જોકે ઈરાનમાં ઘણા તેના સમર્થકો પણ છે, જેણે આ હત્યાનો વિરોધ કર્યો છે અને દુઃખ વ્યક્ત કર્યું છે. આવા ઘણા સમર્થકો ભારતમાં પણ છે.